Skip to main content

લાઈફ સફારી~૪૩: તું જ તારો કૃષ્ણ!


કેન્ટીનનું એક અજબ રોજિંદુ ઘોંઘાટીયુ વાતાવરણ જોય છે! મિત્રો સાથે ચીલ કરતા યંગસ્ટરસ, કામનો થાક ઉતારવા ચાની ચુસ્કીઓ લેતા પ્રોફેસર્સ, સબ્મીશ્ન્સ માટે છેલ્લી ઘડીએ નીચી મૂંડીએ કોપી-પેસ્ટ કરતું ભારતનું ભવિષ્ય અને ટેબલની નીચે હાથોમાં હાથ પરોવી એકબીજાની આંખોમાં પ્રેક્ટીકલ કરતા લવ બર્ડસ- બધા એક જ જગ્યાએ!
કદાચ કોલેજની સૌથી યાદગાર મુમેન્ટસ ક્લાસરૂમમાં નહિ કેન્ટીનમાં જ વિતતી હોય છે! પરંતુ કેટલાક દિવસોથી તમને ખચકાટ થાય છે કેન્ટીનમાં જતા. આમ તો સ્કુલ ટાઈમ થી જ તમે બિન્દાસ્ત- અલ્લડ અને ટોમબોયીશ એટલે જ કદાચ કેન્ટીનમાં થઇ રહેલો વિચિત્ર અનુભવ તમને અકળાવી જાય છે. રોજ કોલેજમાં તમારા આવવા જવાના રસ્તે, તમારા કલાસરૂમની બહાર કે પછી કેન્ટીનમાં પણ એક સીનિયર્સનું ગ્રુપ તમને ટાર્ગેટ કરી રહ્યું છે. આજે સવારે મમ્મી સાથે બહેસમાં પડતા કોલેજ જવામાં લેટ થઇ ગયું છે અને લેક્ચરમાં એન્ટ્રી ના મળતા અનિચ્છાએ તમે કેન્ટીન તરફ જઈ રહ્યા છો. કેન્ટીનમાં જવું કે નહિ એ અવઢવમાં તમે જેવા કેન્ટીનમાં એન્ટર થાવ છો...
બેકગ્રાઉન્ડમાં એજ હેરેસમેન્ટ ચાલુ થાય છે .. અને એક અજાણ્યો અવાજ તમને સંબોધીને કહે છે - હે ગાય્ઝ , બહારો ફૂલ બરસાઓ મેરા મહેબુબ આયા હેં, મેરા મહેબુબ આયા હેં..
તમે અકળામણ, ગુસ્સો અને મજબુરી સાથે દુરના એક ખાલી ટેબલ પર જઈ બેસો છો. બેગમાંથી બુક કાઢીને સવારથી વ્યથિત મનને ડાયવર્ટ કરવા પ્રયત્ન કરો છો પરંતુ ફરીથી... ફરીથી એજ ટીસીંગ!
કિતાબે બહોતસી પઢી હોગી તુમને મગર કોઈ ચહેરાભી તુમને પઢા હે?- અને એક ઝટકા સાથે સામે ઉભેલો તમારો જ સીનીયર તમારા હાથમાંથી બુક ખૂંચવી લે છે અને એકદમ તમારી સામે જ બેસી જાય છે.
રોજની થઇ પડેલી આ હેરાનગતિને બને ત્યાં સુધી એવોઈડ કરવાનાં ઈરાદે તમે નીચી નજરે પોતાની બેગ લઈને સામેની બાજુએ ખાલી બીજા ટેબલ તરફ દોરાઓ છો.. અને ...
ફરી એક ગીત રૂપી કનડગત- નાં જાઓ સૈયા, છુદાકે બૈયા – કસમ તુમ્હારી- મૈ રો પડુંગી.. રો પડુંગી.”
તમારી આંખો સાચે જ ભરાઈ આવે છે, અને અસહાય એવા તમે વિચારો છો - કોને ફરિયાદ કરું અને શું ફરિયાદ કરું? ઘેર પપ્પા- મમ્મી કે ભાઈને કહું એટલે હજાર જાતની પાબંદીઓ મારા પર જ લગાવે. મોબાઈલ બંધ, ઈન્ટરનેટ બંધ, કોલેજ બંધ, ટ્યુશન બંધ! મારી ફીલિંગ્સ અને પ્રોબ્લેમ્સ સમઝવાની જગ્યાએ મારીજ ઉલટ તપાસ શરુ થશે- તારી સાથેજ કેમ છેડતી થાય, તારી બેનપણીઓ સાથે કેમ નહિ? તું જ કઈ નખરા કરતી હશે! અને પછી નવા ફતવા જાહેર થશે -કાલથી સલવાર સુટ પહેરી, માથામાં તેલ નાખીને ચોટલી બનાવીને જજે – પછી જો કોણ હેરાન કરે છે! - શું જવાબ આપું? કોને જવાબ આપું? અને કેમ જવાબ આપું? આખી જીદગી ઘરમાં અને બહાર બધે જ- મારે માત્ર સહન કરવાનું?
પોતાના વાંઝિયા ગુસ્સાને પી જઈને, તમે કમને બેગમાંથી જે બુક હાથમાં આવી તે ખોલીને વાંચવાનું શરુ કર્યું. અનાયાસે જે બુક હાથમાં આવી તે હતી,ગઈ કાલે સાંજે જ લાઈબ્રેરીમાંથી લીધેલી તમરા ફેવરેટ લેખિકા કાજલ ઓઝા વૈદ્યની બુક- “દ્રૌપદી”.
બુકના શબ્દો જાણે તમારી આજુબાજુ નાચી રહ્યા, કેન્ટીનના ઘોંઘાટ વચ્ચે તમે જાણે મહાભારત યુગમાં પહોંચી ગયા અને જોઈ રહ્યા એક આભાસી દ્રશ્યમાં –ઇન્દ્રપ્રસ્થ, પાંડવોની નવી રાજધાની. પાંડવોનો ગૃહ્પ્રતિસ્થા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હજારો બ્રાહ્મણોને ભોજન, દક્ષિણા , ગાયો, નવા વસ્ત્રો દાન કરવામાં આવે છે. સ્નેહી-સ્વજનો ને પ્રીતિ ભીજન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. પૂજાનાં અંતે પાંડવો અને કૌરવો જમવા બિરાજે છે. દ્રોપદી મહેમાનોને ભોજન પીરસી રહી છે. દુર્યોધન અને દુહસાશન સતત દ્રૌપદીની મશ્કરી કરી રહ્યા છે. એમના શબ્દો નિસહાય દ્રૌપદીને વીંધી રહ્યા છે.
તમે જાણે આ માય્થોલોજીક્લ ફ્રેમના જ ભાગ હોવ એમ દ્રૌપદીની પીડા અનુભવી રહ્યા અને નિસહાય પણે જોઈ રહ્યા.
દ્રૌપદી દુહ્સાશનને પીરસવા જાય છે અને..
દૂહસાશન કહે છે - ભાભીશ્રી, હવે તો તમારા દર્શન દુર્લભ થશે. હસ્તિનાપુરમાં હતા તો એક આશા હતી, કે પાંચ ભાઈઓ પછી કદાચ અમારા પીતરાઈઓનો પણ વારો જરૂર આવશે...-
દુર્યોધન અટ્ટહાસ્ય સાથે કહે છે - એકદમ સાચી વાત. ભાભી, સ્વયમવરમાં તમને જોઈને તમારું સૌન્દર્ય અમને વિચલિત કરી ગયું હતું. હવે તમારી આ ગૃહકુશળતા જોઈને વધુ જીવ બળે છે. અમે પણ પાંડવોનાં ભાઈઓ હોત તો....”
દ્રૌપદીનો ગુસ્સો અને અસહ્યતા જાણે તમે પણ જીવી રહ્યા, આખી ફ્રેમની બહાર હોવા છતાં.
દ્રૌપદીના મૌનથી ઉશ્કેરાઈને શાબ્દિક પીડા પણ વધી ગઈ.
દુહ્સાશન પોતાના જ્યેષ્ટભાઈને ઈશારો કરી કહે છે- ભ્રાતા, સમય સમયની વાત છે. હસ્તીનાપુર આપણું થયું એમ એક દિવસ...
દુર્યોધન અને દૂહસાશનના હાસ્યથી, પાંડવો અને કૃષ્ણના મૌનથી અકળાયેલી દ્રૌપદી શું કરી શકે નીચી નજર રાખ્યા વગર? 
ભોજન બાદ પાંડવો આમંત્રિત મહેમાનોને મહેલની સહેલ કરાવે છે, અને સાથે સાથે દોરાઈ જાઓ છો તમે પણ!
દ્રૌપદી અનિચ્છાએ યજમાન ધર્મ નિભાવવા પતિઓ સાથે જોડાય છે. અને – આગળ નીકળી ગયેલા પરિવારજનોની જાણ બહાર, જાણી જોઈને પાછળ રહી ગયેલો દુર્યોધન દ્રૌપદીને એક ખૂણામાં આંતરે છે.
દુર્યોધનની મજબુત પકડમાંથી છૂટવા દ્રૌપદી વલખા મારે છે અને અંતે બોલી ઉઠે છે એનો શ્વાસ-શબ્દ- “માધવ, ગોવિંદ!”
ગોવિંદ- શબ્દ સાંભળતાજ દુર્યોધન દ્રૌપદીનો હાથ છોડી દે છે.
દ્રૌપદી રડતી રડતી દોડીને કૃષ્ણ અને પરિવારજનોની પાછળ આવીને ઉભી રહી જાય છે.
કૃષ્ણ આંખોના ઈશારાથી જાણે દ્રૌપદીની પરિસ્થિતિ પામી જાય છે અને પૂછે છે– કોણ ?
ક્રોધ અને અપમાનથી ત્રાહિત દ્રૌપદી નિશબ્દ થઇ દુર્યોધન તરફ જોઈ રહે છે.
કૃષ્ણ દ્રૌપદીના મસ્તક પર હાથ મુકે છે અને ધીમેથી કહે છે – શાંત થાઓ કૃષ્ણા, આપત્તિની ક્ષણો વીતી ગઈ છે. કોઈને કશું હવે કહેશો નહિ.
દ્રૌપદી અને કૃષ્ણ એકબીજાની સામે જોઈ રહે છે.

દ્રૌપદી માત્ર કૃષ્ણને જ સંભળાય એમ કહે છે - કોઈને કશું કહેવાનું નથી. વીતી ગયું એ ભૂલી જવાનું છે. ઘર-પરિવારનાં સુખ ચેન અને શાંતિ માટે અપમાનનાં ઘુંટડા પી જવાના છે. મારા શબ્દો યુદ્ધનું કારણ નાં બને એ માટે મૂંગા મોઢે અપમાન સહન કરવાનું છે. અને દુર્યોધનની ફરિયાદ કરું તો કોને કરું? એ પતિઓને કે જેઓ થોડી ક્ષણો પહેલા મારું અપમાન નીચી નજરે જોઈ રહ્યા હતા? અને ફરિયાદ કરું પછી પણ જો દુર્યોધન વાત પલટી દે અને મારા ચારિત્ર પર આડ મુકે તો? કદાચ સદાચારી અને ધર્મભીરુ પતિઓ મને ઘરની બહાર હાંકી કાઢવામાં સહેજ પણ વિલંબ નાં કરે! લજ્જાથી હું મૃત્યુ પણ કેમ નથી પામતી?  આખી જીન્દગી માત્ર સહન કરવાનું છે!”
થોડી ક્ષણો પહેલાની તમારી અસહાયતા અને ગુસ્સો તમે જોઈ રહ્યા- દ્રૌપદીમાં- સૈકાઓ પહેલા!  
***
અને તમે વિચારી રહ્યા- ધર્મપરાયણ અને શક્તિશાળી પાંચ પતિઓ હોવા છતાં પણ દ્રૌપદી પોતાની રક્ષા કરવા કેટલી અસહાય? કૃષ્ણ જેવા સખા હોવા છતાં પણ દ્રૌપદી સાથે જો અન્યાય અને દુષ્કર્મ થયું હોય તો – આ તો કળયુગ છે! દ્રૌપદીને તો દરેક મુશ્કેલીમાં ઉગારનાર એના સખા-કૃષ્ણ હતા – મારું કોણ?
દ્રૌપદી અને તમે એકબીજાને જોઈ રહ્યા, યુગો અને સમયની સીમાઓથી પર થઈને, અનુભવી રહ્યા એકબીજાના અપમાનની, અસહાયતાની વેદના.
અને અચાનક ક્યાંકથી એક વાંસળીનો સ્વર ગુંજી ઉઠે છે અને માનવામાં નાં જ આવે એ રીતે કૃષ્ણ તમારી અને દ્રૌપદીની વચ્ચે આવી ઉભા રહે છે.
કૃષ્ણ સૌંમ્ય સવારે કહે છે – દ્રૌપદી એ મારી વાત માની, ચુપ રહી, સહન કરી લીધું. આજે મને સમઝાય છે -ખોટું કર્યું. દ્રૌપદીનાં એ સહન કરવાના કારણે જ કદાચ આજ સુધી દરેક સ્ત્રીને સહન કરવું- ચુપ રહેવું પડે છે , પરિવાર- સમાજ કે પોતાની આબરુ જવાની ખોટી બીકે! અન્યાનનો સામનો કરવાથી તો કઈ આબરુ જતી હશે? માન વધે સત્યનો સાથ લઇ અન્યાય ને પરાજિત કરવાથી તો! દ્રૌપદી સાથે દરેક મુશ્કેલીમાં હું હતો- એટલે જ કદાચ એ સ્વય સક્ષમ હોવા છતાં મારા નિર્ણયો પર જીવતી રહી, સહન કરતી રહી કે પરિસ્થિતિ સ્વીકારતી રહી. તું પૂછે છે ને- તારું કોણ ? તારી – તું પોતે બીજું કોઇજ નહિ! આ તારું મહાભારત છે જેમાં કૌરવો અગણિત છે પણ એમની સામે લડવા તું એકલી છે! તારે કોઈ કૃષ્ણ કે પાંડવો નાં સહારા ની હવે જરૂર નથી! તારા સ્વમાન માટે તારો પરિવાર નહિ લડે - તારે જ લડવાનું છે! ઉઠ, હિંમત કર, અવાજ ઉઠાવ અને સક્ષમ બન પોતાની જીન્દગી પોતાની રીતે જીવવા અને જીતવા!
***
શું હજુ તમે રાહ જોઈ રહ્યા છો તમારા બચાવ અને ક્ષેમ-કુશળ માટે કૃષ્ણ, ભાઈ, પિતા કે પતિની?


Comments